वेदांग અને वेदांत
वेदामृतम् - એક સરળ વાત - ૧
वेदांग અને वेदांत
આ બે શબ્દોનું ઉચ્ચારણ સમાન રીતે થાય છે પણ બંનેનો અર્થ અલગ થાય છે અને બંનેનું અસ્તિત્વ પણ અલગ છે.
वेदांग = વેદનાં અંગો.
વેદનાં 6-છ અંગો છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. વેદનો પરંપરાગત અભ્યાસ કરવાનું ઇચ્છનારા વ્યક્તિ એ આ છ વેદાંગોનું જ્ઞાન હોવું જરૂરી છે.
( वेदामृतम् માં ઋગ્વેદ અને યજુર્વેદનો પરિચય જોયો, હવે वेदामृताम् માં આ છ વેદાંગોનો પરિચય આવશે, પછી શેષ બે વેદોનો પરિચય આવશે.)
वेदांत = વેદનો અંતભાગ = ઉપનિષદ સાહિત્ય.
વૈદિક સાહિત્યને આ ચાર ક્રમમાં વિભાજિત કરવામાં આવ્યું છે-
૧. વેદ સંહિતા-મંત્રો જેને આપણે ઋગ્વેદ-યજુર્વેદ-સામવેદ-અથર્વવેદ તરીકે ઓળખીએ છીએ.
૨. બ્રાહ્મણ સાહિત્ય-વેદમંત્રો થી ભિન્ન ગદ્ય-પદ્ય મંત્રોવાળું સાહિત્ય, દરેક વેદસંહિતાનાં પોતાના સ્વતંત્ર બ્રાહ્મણગ્રંથો છે.
૩.આરણ્યક સાહિત્ય- વેદમંત્રો થી ભિન્ન ગદ્ય-પદ્ય મંત્રોવાળું અરણ્ય=વનમાં રચાયેલું અને બોધપ્રદ વૈદિક આખ્યાનોવાળું સાહિત્ય.
૪.ઉપનિષદ સાહિત્ય - 'ઉપનિષદ' નો સામાન્ય અર્થ થાય છે ગુરુની પાસે જઈને નીચે બેસીને શિષ્ય વેદનું પરમજ્ઞાન મેળવે એ. દરેક વેદનાં પોતાના સ્વતંત્ર ઉપનિષદો છે. ચારેય વેદનાં મળી ને 108 ઉપનિષદો છે. એમાં પણ મુખ્ય ઉપનિષદો આ 10 છે-
ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડ, માંડુકય, તિત્તિર, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક.
આમ, વૈદિક સંહિતાનાં વિભાજન ક્રમમાં ઉપનિષદ સાહિત્યનો ક્રમ અંતિમ હોવાથી તેને 'વેદાંત' તરીકે પણ ઓળખવામાં આવે છે.
નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'
જય માતૃભુમિ.
Comments
Post a Comment