સર પ્રભાશંકર પટ્ટણી

આજે 15 એપ્રિલ

આજનાં દિવસે 1862માં ભાવનગર રાજ્યનાં દિવાન સર પ્રભાશંકર પટ્ટણીનો જન્મ થયો હતો.

દેશ-પરદેશમાં પ્રતિષ્ઠા મેળવનાર, રાજનીતિજ્ઞોમાં સન્માન અને સદભાવ મેળવનાર, બ્રિટિશ સરકારમાં વિશ્વાસ અને માન મેળવનાર અને નાનપણ થી જ ગાંધીજીનાં વિશ્વાસુ મિત્ર એવા સર પ્રભાશંકર પટ્ટણીએ પોતાનું સર્વસ્વ ભાવનગર રાજ્યને આપી ભાવનગર રાજ્યને નાના રાજ્યમાંથી મોટા રાજ્યમાં ગૌરવ ભર્યું સ્થાન અપાવ્યું હતું.

પ્રભાશંકરનો જન્મ 15 એપ્રિલ 1862માં મોરબી માં થયો હતો. તેઓ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ હતા. મૂળ અટક ભટ્ટ હતી પણ સાસરિયા માં કોઇએ તેમનું અપમાન કર્યુ અને તેમણે પોતાની અટક ભટ્ટ માંથી પટ્ટણી બદલી.

તેમનાં પ્રથમ લગ્ન 1878માં  પ્રસિદ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજી નાં ભાઈ માનીભાઈની પુત્રી કુંકીબહેન સાથે થયા હતા. ફૂંકીબહેનનું અવસાન થતા પ્રભાશંકરનાં બીજા લગ્ન 1881માં ઝંડુ ભટજીનાં બીજા ભાઈ રાજવૈદ્ય વિશ્વનાથ વિઠ્ઠલજીની પુત્રી રામબહેન સાથે થયા હતા.

ગુજરાતી માધ્યમમાં સાત ધોરણ ભણ્યા પછી મેટ્રીક કરવા રાજકુમાર કોલેજમાં ભણ્યા.ત્યાં સમસ્ત કાઠિયાવાડમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. ત્યારબાદ મુંબઈ મેડિકલ કોલેજ માં પ્રવેશ લીધો પણ સ્વાસ્થ્ય સારું ન રહેતા 1886માં માણાવદર પાછા આવ્યા. બે શાળાઓમાં શિક્ષકની નોકરી કર્યાં પછી રાજકુમાર કોલેજ માં શિક્ષકની નોકરી મળી. ત્યારે ભાવનગર રાજ્યનાં મહારાજકુમાર ભાવસિંહજી ત્યાં અભ્યાસ કરતા હતા. પ્રભાશંકરને ભાવસિંહજીનાં ખાસ શિક્ષક નિમવામાં આવ્યાં અને બન્ને વચ્ચે ગાઢ મૈત્રી થઈ.

ભાવનગર રાજ્યનાં દિવાન વિઠ્ઠલદાસ મહેતા એ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપતાં 1903માં ભાવસિંહજીએ પ્રભશંકરને ભાવનગર રાજ્યનાં દિવાનપદે નિયુક્ત કર્યા. પ્રભાશંકર 1903 થી 1938 એમ 36 વર્ષ ભાવનગર રાજ્યનાં દિવાન રહ્યાં.

એમની દિવાનગીરી દરમિયાન ભાવનગરનાં બંદર ની ખીલવણી થઇ. નાનું બંદર મોટું થયું. ખાડીઓ ઊંડી કરવામાં આવી. રસ્તાઓ વધ્યા, વેપાર વધ્યો, રેલ્વે લાઈન વધી અને દારૂબંધી નો કાયદો પણ આવ્યો.

તેમની કુશળ રાજનીતિ અને કુનેહને સ્પષ્ટ કરતો આ એક અદભુત પ્રસંગ છે. ભાવનગર બંદરનો વેપાર વધતો જોઈ બ્રિટિશ સરકારે વિરમગામમાં લાઈનદોરી કરી અને ભાવનગર બંદરથી આવતા માલને અટકાવ્યો. ભાવનગર રાજ્યનાં બંદરી હકો વિષે પ્રભાશંકરે પહેલેથી જ બ્રિટિશ સરકાર સાથે કરાર કર્યો હતો કે ભાવનગર બંદર થી આવતા માલ પર સરકારી હિસાબે અયાતવેરો લેવામાં આવે અને ભાવનગર બંદરથી આવતા માલને બ્રિટિશ હદમાં છૂટ થી દાખલ થવા દેવો. આ કરારના આધારે જ પ્રભાશંકર ભાવનગર બંદરની આ લડાઈ લંડન સુધી લડ્યા અને જીત્યાં.

1912 માં બ્રિટિશ રાજ્યનાં ખાસ અગ્રણીએ પ્રભાશંકરને મુંબઇ ગવર્નરની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું સભ્યપદ અપાવ્યું. ગોળમેજી પરિષદમાં સારું કાર્ય કરતાં પ્રભાશંકર ને 'સર' નું બિરુદ આપવામાં આવ્યું અને તેઓ બન્યા 'સર પ્રભાશંકર પટ્ટણી'.

સતત દુષ્કાળ પડ્યો ત્યારે 40-50 માઇલ ચાલતાં અને ઘોડેસવારી કરીને રાહતકાર્ય કરેલું.

પ્રભાશંકર ભાવસિંહજીનાં સારા મિત્ર હતાં. 1919 માં ભાવસિંહજીનું મૃત્યું થયું એ પહેલાં ભાવનગર રાજ્યનાં સગીર વારસદર કૃષ્ણકુમારસિંહજીનાં ઉછેર અને તાલિમ ની જવાબદારી પ્રભાશંકરને સોંપી હતી. કૃષ્ણકુમારસિંહજી ને બધી જ તાલિમ આપી પ્રભાશંકારે 1931માં તેમનો રાજ્યાભિષેક કર્યો.

રવીન્દ્રનાથ ટાગોર જેવી લાંબી દાઢી રાખતાં જે તેમની વિદ્વત્તા, માનવપ્રેમ અને આદ્યાત્મિકતાનું પ્રતિક હતી. પ્રભાશંકર સારા કવિ અને લેખક પણ હતાં. કવિ દુલા ભાયા કાગ સાથે અનેક વાર પોતાના નિવાસ સ્થાને સાહિત્યની ગોષ્ઠીઓ કરતાં. દુલા ભાયા કાગ પણ લાંબી દાઢી રાખતાં. બે પંક્તિમાં કાગ બાપુએ મોટી દાઢીવાળા પોતાને, પ્રભાશંકરને અને ટાગોરજી ને વણી લીધા છે-

"દાઢીવાળા દેખીયા નર એક રવીન્દ્રનાથ,
દુજો સર પટ્ટણી સમરથ, દેવ ત્રિજો તું દુલીયા!"

12 ફેબ્રુઆરી 1938નાં દિવસે હરિપુરા કૉંગ્રેસ સંમેલનમાં જતા ભાવનગરનાં શિહોર પાસે ટ્રેનમાં જ એમનું મૃત્યુ થયું.

તેમની સ્મૃતિમાં ભાવનગરની પ્રખ્યાત સાયન્સ કોલેજને એમનું નામ આપવામાં આવ્યું જે આજે "સર પી. પી. સાયન્સ કોલેજ" તરીકે પ્રખ્યાત છે.

પ્રો. નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય' 

ભાવનગર

nakulsinhgohil@gmail.com

Comments

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.